માણસની જાત એટલે એટલી દંભી કે મરણપ્રસંગેય દંભ ના છોડે ! રોજેરોજ કેટલાયે મનુષ્યો મરે છે, એમાં બધા સજ્જનો જ હોય એવું લખી આપ્યું છે ? એમાં દાણચોરો, દારૂડિયાઓ, ખિસ્સાકાતરુઓ ને મવાલીઓય મરવાના ખરા કે નહીં ? તોયે એમનાં સ્વજનો તો એમના નામ આગળ ‘સ્વર્ગસ્થ’ જ વાપરવાના ! કોઈ ‘નર્કસ્થ’ છે જ નહીં ? લઠ્ઠો પીને મરી જનારાની તસવીરોયે એમના સ્વજનો છાપામાં છપાવે અને અંજલિ આપતાં પાછું તસવીર નીચે છપાવે… ‘ફૂલ ગયું ને ફોરમ રહી !’ એ દંભીઓને કોણ પૂછે કે હે મગજના લઠ્ઠ… એ ફૂલ લઠ્ઠો પીવા કેમ ગયેલું ? ને… એની ફોરમ હજી રહી છે ? (તો તો માર્યા ઠાર !)
તમે કોઈની શોકસભામાં જાવ તો તમને જાણવા મળે કે… મરનાર માત્ર વ્યક્તિ જ નહોતો પણ સંસ્થા સમાન હતો… અને એના જવાથી કદી ન પૂરી શકાય તેવી ખોટ પડી છે ને… કોણ કહે છે કે એ મર્યો છે ? એ એના સ્વભાવ અને કાર્યોની સુવાસરૂપે આવનારી પ્રત્યેક ક્ષણમાં આપણા માટે જીવંત જ રહેશે… અરે અમર છે એ તો !… વગેરે. આવે સમયે મારું લોહી એવું તો ઊકળી ઊઠે છે કે એક ક્ષણ તો એવું થઈ આવે છે કે વક્તાનો ઘોઘરો ઝાલીને કહું કે….. મરનાર વિશે જો હવે એક પણ જુઠ્ઠો શબ્દ કહ્યો તો મરનારની સોગંદ ખાઈને કહું છું કે તને જીવતો નહીં છોડું !
હું તો કહું છું કે મરનારની શોકસભામાં દરેક વક્તાને મરનાર વિશે પોતાનું હૃદય જે કહેતું હોય તે અંજલિરૂપે કહેવા જેટલું વાણીસ્વાતંત્ર્ય મળવું જોઈએ ! આથી મરનારના આત્માને અશાંતિ મળે તોયે ભલે, પણ અનેક જીવતાઓના આત્માને શાંતિ મળે એ વધુ અગત્યનું ગણાય. જો આટલી જ છૂટ મળી જાય તો શોકસભાને ચાર ચાંદ લાગી જાય ! સમાજસુધારકોને નવી પ્રેરણા મળી રહે એ હતુથી એક વિશિષ્ટ પ્રકારની કાલ્પનિક શોકસભા વાચકો સમક્ષ મુકતાં મને હર્ષ થાય છે. ઓછામાં ઓછા આઠ-દસને પાડીને જ પડે એવા અમારા અડિખમ્મ રણછોડલાલને વાચકો ખાતર અબઘડી મારી નાખું છું (ફક્ત કલ્પનામાં !) અને આ સાથે એમના પરિચિતોને પણ છૂટ આપું છું કે રણછોડલાલ વિષે પોતાનું હૃદય કહે એ રીતે સણસણતી અંજલિઓ આપે અને કમ સે કમ પોતાના આત્માને શાંતિ અર્પે ! તો આ સંજોગોમાં શોકસભામાં કોણ કોણ કેવી અંજલિ આપે તે આપણે જાણીએ.
પ્રમુખ શ્રી પરમાનંદજી :
‘પરમાનંદની વાત છે કે…. એટલે કે મારી કહેવાની વાત એ છે કે.. રણછોડલાલ…. હરામખોર… નાલાયક… આ માઈકને શું થયું છે ? અલ્યા ભૈ આમાંથી સિસોટીઓ કેમ વાગે છે ? હલ્લો… હલ્લો.. વન ટુ થ્રી… હલ્લો… સ્વર્ગસ્થ રણછોડલાલ.. હલ્લો ! અલ્યા ભૈ ઠોયા જેવો શું ઊભો છે.. પેલો ડટ્ટો મૈડી નાંખ.. જો અવાજ ખુલે તો ! રણછોડલાલ મરી ગયા તે… બરાબર છે.. ઠીક છે… બસ એટલું વોલ્યુમ રાખો ! હમમમ… હા.. તો.. એ દા’ડો અમારે ત્યાં વેઢમી બનાવેલી ને હું જ્યાં જમવા પાટલે બિરાજ્યો ત્યાં જ ખબર આવી કે રણછોડલાલ હંમેશા માટે ઠરી ગયા છે તો… ગરમાગરમ વેઢમી ઠરે તે પહેલાં ખાઈને તરત મેં આવનાર સાથે નિરાંતે વાતચીત કરી. ભૈ માણસનું તો એવું ત્યારે ! રણછોડલાલને એકવીસમી સદીના અંત સુધી જીવવું હતું ને ઘડીના છઠ્ઠા ભાગમાં જુઓ ક્યાંથી ક્યાં પહોંચી ગયા ! આમ તો મારે રણછોડ સાથે સંબંધો જૂના પણ ઉષ્મા વિનાના ! એની રગેરગ હું જાણું, એનામાં અવગુણો તો ભારોભાર… ને થોડા ગુણ પણ ખરા. ખરું પૂછો તો દિશાવિહીન નાવડા જેવું જીવન જીવ્યો અને ઘણું મથ્યો.. ખોટું મથ્યો ! જો કે એને ઝપાટે ચડનારની દિશા ભૂલવાડવાની ક્ષમતા એનામાં હતી એની ના નહીં ! જુવાનોને શરમાવે એવાં અવળાં કૃત્યો એણે કરેલાં… એમ તો મારે આ પ્રસંગે ન કહેવું જોઈએ… પણ ટૂંકમાં અડસઠ વર્ષની ઉંમરેય એનો જુસ્સો જુવાન જેવો હતો. જીવનપર્યંત એણે ઘણાને રડાવેલા એટલે કદાચ એની પાછળ કોઈ રડે કે ન રડે… પણ એટલું જરૂર કે આવી વ્યક્તિ અચાનક એની લીલા સંકેલી લે ત્યારે રાહતની લાગણીની સાથે સાથે એક શૂન્યાવકાશ જેવું પણ ઊભું કરી દે છે… એની જગા કોણ ભરી શકે ? રણછોડને તો કોઈની દયા કે દુઆની જરૂર નહોતી, વિચારવાનું તો એ છે કે એનો આત્મા કુદરતમાં ભળી ગયા પછી હવે કુદરતનું શું થશે ? કુદરતના આત્માને શાંતિ મળે… એ જ મારી હાર્દિક પ્રાર્થના ! જય રણછોડ !’
મકાનમાલિક શ્રી મફતલાલ :
‘રણછોડલાલ એટલે એક એવા માણસ જેને અંજલિ તો અપાય પણ મકાન ભાડે ના અપાય ! એમના દેહનું ખંડેર તો એ ખાલી કરી ગયા, પણ મારા મકાન પર હજી કબજો છે ! મકાનભાડુ ભૂલવાડવામાં તો એ એક્કા હતા. મને દૂરથી આવતો જુએ કે તરત જળબિલાડીની જેમ ઘરમાં ડૂબકી મારી જાય ને… એમનાં પત્નીનો એક જ જવાબ હોય – ‘એ ઘરે નથી !’ પત્યું ?’
‘આ વખતેય એવું જ બન્યું. ભાડું માગવા ગયો તો… આંગણામાં જ સમાચાર મળ્યા કે એ ઘેર છે છતાં નથી ! હું સમજ્યો કે તો તો…. કાયમ જેવો જ ત્રાગડો હોવાનો ! મેં તો ઘરમાં જઈને સીધું જ જણાવી દીધું કે આ રડારોળ શેની માંડી છે ? નાટક બંધ કરો… આ રણછોડલાલ ઓઢીને સૂતા છે એમને બેઠા કરો ! આજે હું ભાડુ લીધા વિના જવાનો નથી ! જ્યારે એમની પત્નીએ ફાટેલા રાગે ઠૂઠવો મૂક્યો ત્યારે કંઈક ખરેખર અમંગળ થયા જેવું લાગ્યું. પણ છતાં થોડી શંકા ગઈ કે કદાચ…. એટલે છેલ્લાં દર્શન કરવાને બહાને કપડું હટાવીને રણછોડલાલના હાથ પર એક ચૂંટલી પણ મેં તો ખણી જોયેલી ! જો કે એમને છેક ચિતામાં બળતા જોયા ત્યારે જ મેં વિશ્વાસ કર્યો કે એ ખરેખર મર્યા છે ! બાકી ભાડુ ભૂલવાડવા એ તો ગમે તે કરી છૂટે ! ટૂંકમાં વગર ભાડુ ચૂકવ્યે એ દા’ડે એમની પાવતી ફાટી ગયેલી’
‘ભાડુ ચૂકવવાને બદલે મરવાનું પસંદ કરે એવો એ માણસ કઈ માટીમાંથી ઘડાયેલો હશે એ તો કોણ જાણે ! પણ મારા મકાનમાં એનું કુટુંબ કઈ રીતે રહેતું હશે એનું મને આજે પણ આશ્ચર્ય છે. હકીકતમાં જો એ લોકો મકાન ખાલી કરી આપે તો મારે રબારીઓને ભાડે આપવું છે, જેથી ત્યાં ઢોર બાંધવાની ગમાણ બની શકે ! ત્યાં માણસ રહી શકે એમ છે જ નહીં ! ટૂંકમાં હવે રણછોડલાલ નર્કમાં જાય તોયે તેમને ત્યાં સ્વર્ગ જ લાગશે ! ને ત્યાં તો એમને ભાડુ પણ નહીં આપવું પડે ! તો આ રીતે એમની સદગતિ જ થઈ ગણાય.’
ફેમિલી ડૉક્ટર શ્રી ફણિધરભાઈ :
‘મારે માટે રણછોડલાલ એક વ્યક્તિ જ નહોતા બલ્કે મારી એક આગવી પ્રયોગશાળા સમાન હતા. મારે માટે એ આનંદની વાત હતી કે એમને સૂકી ખાંસી બાસે માસ રહેતી અને વિવિધ પ્રકારનાં દર્દો પણ એમને અવાર-નવાર થતાં રહેતાં ! એટલે એમની ખાંસી એ મારે માટે બાંધી આવક અને તેમને અવાર-નવાર થઈ આવતાં દર્દો મારે માટે બૉનસ સમાન હતાં.’
‘બે પૈસા રળવા ઈચ્છનાર ડૉક્ટરોએ હંમેશા યાદ રાખવું જોઈએ કે દર્દી કદી સાજો ન થવો જોઈએ તેમ જ મરવો પણ ન જોઈએ. રણછોડલાલને મેં ક્યારેય ખાંસીની સાચી દવા આપી નથી. મારા પગ પર હું કુહાડો શા માટે મારું ? રણછોડલાલના શરીરનું તંત્ર એવું જટિલ અને વિચિત્ર હતું કે એમનાં પર દવાઓના અવનવા પ્રયોગો કરવાનું મારે માટે અત્યંત રસપ્રદ થઈ પડેલું. સામાન્ય રીતે આવા પ્રયોગો વાંદરા-કૂતરા પર કરાતા હોય છે ! રણછોડલાલ મરી ગયા એ મારે માટે એક મોટું આશ્ચર્ય છે. દવાને નામે મેં એમને ડામરની ગોળીઓ અને ક્યારેક તો પ્લાસ્ટિકનાં બટન પણ ગળાવી દીધેલાં ! પણ કદી એમનો વાળ વાંકો થયો નહોતો. કોઈ ખતરનાક હેતુસર એમને મારી નંખાયા હોય એવું બને, બાકી રણછોડલાલ કોઈ દર્દથી કે મારી દવાથી મરે એમ હતા જ નહીં ! રણછોડલાલના દેહવિલયથી મારે ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. મારે માટે રણછોડલાલ નહીં પણ એમનો અભૂતપૂર્વ દેહ અગત્યનો હતો ! કદાચ એ ચાર-છ મહિના વધુ જીવ્યા હોત તોયે હું મારા દવાખાનામાં નવું ફર્નિચર વસાવી શક્યો હોત ! મારા વ્યથિત હૃદયની એ જ પુકાર છે કે…. ઓ જાનેવાલે હો શકે તો… લૌટ કે આના !’
સુપુત્ર બચુડો :
‘મારે મારા બાપા સાથે ઊભેય બનતું નહીં… એનો અર્થ એ નહીં કે મારી હાજરીમાં તમે એમને આવી અવળચંડી અજંલિઓ આપો ! એટલું યાદ રાખજો કે મારા બાપા વિષે મનફાવે એવું બોલવાનો હક મારા સિવાય બીજા કોઈને નથી. હવે પછી જો બીજો કોઈ આડુંઅવળું બોલ્યો તો ગલીઓમાં રખડતો કરી દઈશ ! મારા બાપાની મિલકતમાંથી મારે કશું જોઈતું નથી ! કશું છે પણ નહીં ! ને… ધ્યાનપૂર્વક સાંભળી લો કે એમણે કરેલાં કોઈ પણ પ્રકારનાં દેવાઓને ભરપાઈ કરવાની જવાબદારી મારી નથી. જો મારા બાપાનો આત્મા આટલામાં ક્યાંક ભટકતો હશે તો મારા વિચારો સાંભળી એને શેર શેર લોહી ચઢતું હશે ! મારા બાપાનો એક મુખ્ય સિદ્ધાંત હતો કે ‘દેવાં’ ફક્ત કરવા માટે હોય છે, ચૂકવવા માટે હોતા નથી ! હું સૌથી હાજરીમાં પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે એમના સિદ્ધાંતને પગલે ચાલવા હું પ્રમાણિકપણે બનતી કોશિશ જીવનપર્યંત કરતો રહીશ. આથી સારી અંજલિ બીજી કઈ હોઈ શકે ?’
સંતોકબા (મિસિસ રણછોડલાલ) :
‘આજથી પિસ્તાળીસ વરસ પહેલાં જ્યારે ભારત ગુલામ હતું ત્યારે અમારા એ આઝાદી ભોગવતા’તા પણ કાંકરિયાને કિનારે અચાનક અમારી આંખો ચાર થયેલી ને ત્યાર પછી એમની દશાયે ભારત જેવી થયેલી. જો કે ભારતને તો પાછળથી આઝાદી પાછી મળેલી ! એ જમાનામાં કાંકરિયાને કિનારે ભેળપૂરીવાળા કે આઈસ્ક્રીમવાળા તો શોધ્યાયે ન જડે, એટલે એકબીજાને જોયા વિના બીજું શું કરવાનું ? એટલે બેઉને એવું લાગ્યું કે અમે પ્રેમમાં છીએ ! પરણ્યા પછી ભૂલ સમજાઈ ત્યારે તો ઘણું મોડું થઈ ગયેલું. એક જ્યોતિષીએ તો એમને કહેલું કે… હજીયે છૂટા પડી જાવ તો સારું, કારણ કે તમે ક્યારેય કોઈ બાબત પર એકમત નહીં થઈ શકો ! ને… ખરેખર છૂટા પડવાની બાબત પર અમે એકમત ન થઈ શક્યા. સમજો કે જિંદગી આખી આમ ને આમ ઢસડી નાંખી મારા ભૈ ! આજે અનુભવું છું કે અમારા એ ફરી એક વાર આઝાદ થયા છે ! બસ… આઝાદી અમર રહો !’
કવિ શ્રી ‘કોમલ’ :
‘એક એવી સવાર ઊગી કે… સૂર્યના કિરણોનો પીળચટ્ટો સ્પર્શ રોમેરોમને દઝાડી ગયો ! કેમ ફૂલોના મ્લાન ચહેરાઓ પર સ્તબ્ધતા લીંપાઈ ગઈ ? ઓતરાદા ડુંગરની પેલે પારથી આવતા પંખીઓના લયબદ્ધ કલરવ કયાં રોકાઈ ગયા ? પ્રશ્નાર્થ બની ઊભેલી ખામોશ હવામાં કોણ તરફડી મર્યું છે ? ક્ષિતિજના રંગો કોઈ લૂંટી ગયું કે ? અરે કોઈ ઉષાની આંખથી ટપકતા વૈધવ્યને ઝીલો !! હવે મારાથી એની સફેદી નથી જીરવાતી… યુગોથી હાંફતું’કો હરણ જરૂર પછડાયું છે… નહીં તો ઝાંઝવામાં ધબાકો થાય ના ! અરે એની ફાટેલી આંખમાં વિસ્તરતા રણમાં જુઓ…. કે રણ છોડીને કોણ જઈ રહ્યું છે ? ને… મસ્તિષ્કને સાતમે કોઠે ઊઠી રહેલાં ધુમ્મસોમાં પડઘાય છે… રણછોડ ! રણછોડ ! જે હવે નથી. શૂન્ય બની ઓગળી ગયો છે એ ! એનાં રૂપ રંગ-આકાર એ સોંપતો ગયો છે તમને.. એ તમે યાદોના ભંડકિયામાં સાચવી રાખજો. એ તો કોઈ અકળ તત્વ થઈ અનંતમાં વ્યાપી ગયો છે ! તમે કૅલેન્ડરનાં ખરેલાં પાનાંઓમાં એના અસ્તિત્વના પડછાયાઓ શોધતા હશો ને શક્ય છે કે એ ગગનહિંડોળે હેલે ચડી વાદળ જેવું હસતો હોય ! આમ જુઓ તો એના હોવાના અણસાર સમસ્ત બ્રહ્માંડના અણુએ અણુમાં છે ! લ્યો આંખો પર છાજલી કરો… જુઓ પેલા ગુંજતા ભમરામાં રણછોડ છે ! સરોવરમાં ઊઠતાં વલયોમાં રણછોડ છે ! ખાબોચિયામાં ખરડાયેલી ભેંસની નયનરમ્ય પાંપણોના પડછાયામાં રણછોડ છે ! અરે છાણમાં ખદબદતા કીડાઓમાંય….
લેખકની નોંધ :
કવિ શ્રી ‘કોમલ’ની બોચી ઝાલીને બેસાડી દઉં છું ! કારણ કે એક તો એની અંજલિ અનંતકાળ સુધી લંબાય એવડી છે… ને બીજું એ કે કાલ્પનિક રીતે મારી નંખાયેલા રણછોડલાલ વાસ્તવિક રીતે આ સામેથી જ આવતા દેખાય છે, એટલે હવે આપણી ભવ્ય-કાલ્પનિક શોકસભા બરખાસ્ત કરવી જ રહી ! રણછોડલાલ ખરેખર મરે ત્યાં લગી આપ સૌના આત્માને શાંતિ મળો એ જ હૃદયની પ્રાર્થના !
aavaj moto kari ne sambharvu
Thursday, January 15, 2009
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment