છેલ્લાં ઘણાં વર્ષોથી હું સારી તંદુરસ્તી ભોગવું છું અને ઈશ્વરકૃપા હશે તો બીજાં પચાસેક વર્ષ આમ જ તંદુરસ્ત રહીને પૂરાં કરવાં એવું વિચાર્યું છે. મનથી પણ હંમેશા ખુશ રહેવાના પ્રયત્નોમાં જ રહું છું. પણ ખબર નહીં કેમ જ્યારે જ્યારે કોઈ મહાન માણસની આત્મકથા વાંચું છું ત્યારે ત્યારે મન દુ:ખી થઈ જાય છે. આજ સુધી મેં મારી આત્મકથા કેમ ન લખી ?
એમ તો મેં મારી જીવનકથા હપ્તે હપ્તે ઘણી વાર લોકો આગળ કહેવાની શરૂ કરી હતી પણ દર વખતે કોઈને કોઈ બહાનું કાઢીને લોકો છટકી જતા હતા. તેથી બોલવાનું માંડી વાળી લખવા પર ધ્યાન આપવું એવું નક્કી કરી આત્મકથા લખવા વિચાર્યું. આત્મકથા જ્યારે પુસ્તકરૂપે પ્રગટ થશે ત્યારે કોઈક ને કોઈક તો એને ખરીદશે જ ને ? એટલે પૈસા વસૂલ કરવા ખાતર પણ એ નિર્દોષ માનવીએ મારું પુસ્તક-મારી કથા વાંચવી જ પડશે. વળી, જન્મકથાથી માંડી આજ સુધીનાં વર્ષોની અવનવી કથાઓ ફિલ્મની જેમ મગજમાં ઘૂમરાતી રહે, ચકરાતી રહે એના કરતાં એક જગ્યાએ ઠરીઠામ થાય તો ઠીક એવા શુભ આશયથી આખરે કથા લખવી જ એવો દઢ નિશ્ચય કરી લીધો. તેથી આજના શુભ દિને શુભ સંકલ્પ કરીને મારી આ જીવનયાત્રાની કથાનો શુભ આરંભ કરં છું. આશા છે કે પ્રભુકૃપાથી જલદી, એ નિર્વિઘ્ને પૂર્ણ થશે. (યાત્રા નહીં, કથા)
આમ જોવા જઈએ તો દરેક મનુષ્યની કથા કોઈ નવલકથાથી કમ હોતી નથી પણ પોતે જ્યારે એને વર્ણવા કે લખવા ચાહે ત્યારે એનાઅ રૂપરંગ કંઈ ઓર જ નીખરી આવતાં હોય છે. એટલે મેં પણ યથા યાદશક્તિ આ કથા લખવાનું બીડું ઝડપ્યું છે. કદાચ કોઈને એમ પણ થાય કે, એક સામાન્ય સ્ત્રી કે ગૃહિણીની આત્મકથામાં વળી વાંચવા જેવું શું હશે ? સાસુ-નણંદ કે પતિ ને પડોશેની પંચાત સિવાય કંઈ લેવાનું નહીં હોય. પણ મારો તો નિયમ છે કે, હાથમાં આવેલું પડીકું પણ ‘છોડવું’ નહીં. પડીકાના કાગળમાં અજાયબ સૃષ્ટિ હોય છે ! પડીકામાં વીંટાળેલી વસ્તુ ગૌણ બની જાય છે, ત્યારે એ તેલિયા કાગળનું મહત્વ વધી જાય છે. મતલબ કે બધું જ વાંચવું. ક્યારે કોની કથા વાંચવા મળી જાય ને એના જીવનમાંથી કંઈક શીખવા પણ મળી જાય, શી ખબર !
મારે મારી જીવનકથા ફક્ત મારાં કુટુંબીજનો, મિત્રો કે સ્નેહીઓને જ અર્પણ નથી કરવી. બલ્કે સમસ્ત માનવજાતને ઉપયોગી બને એવી આ કથાને ભવ્ય સમારોહ દ્વારા લોકો સમક્ષ પેશ કરીશ. જેમ મેં મારા જીવનમાં વૃદ્ધોથી માંડીને બાળકોને સુદ્ધા ગુરુ બનાવ્યા છે તેવું હું પણ ઈચ્છું છું કે, આ પુસ્તક દુનિયાના મહાનુભાવોથી માંડીને મારી કામવાળીનાં બાળકોને પણ એટલું જ ઉપયોગી નીવડે. આ પુસ્તકમાં કદમ કદમ પર માર્ગદર્શન હશે. હજી જો કે વાર છે, છતાં ભવિષ્યમાં હું રહું કે ન રહું ને કોઈને કંઈ મુશ્કેલી આવી પડે કે એ મુસીબતોથી ઘેરાઈ જાય ત્યારે એમ ન વિચારે કે, મારે ક્યાં જવું ? કોને શરણે થવું ? કોની સલાહ લેવી ? આડાઅવળા વિચારે કે પુસ્તકે કે પંથે ચડી જતાં પહેલાં મારું આ પુસ્તક એક વાર જે ઉઘાડશે તેને માટે તેની દરેક સમસ્યાનો હલ હાજર સ્ટૉકમાં મળશે. કારણ કે જેમ દરેક મોટા ભાગના માણસનું હોય છે તેમ મારું જીવન જ મારો સંદેશો છે. ફક્ત તમને એ સંદેશો ગળે ઊતરવો જોઈએ !
જેમ મનુષ્યની ઉંમર થતાં તે વડીલ ગણાવા માંડે ને લોકો તેની સલાહ લેવા આવે, અનુભવી સમજીને. તેમ મેં પણ વડીલ ગણાવા સલાહો આપવાની ચાલુ કરી દીધી છે. સલાહ માગવા આવનારને નિરાશ કરવાનું પાપ હું માથે લેવા માંગતી નથી. તેથી જ શાંતિથી એને સાંભળીને કે એવો દેખાવ કરીને પણ એની સમસ્યા મુજબ મને જેવી સમજ પડે એવી નાની-મોટી સલાહો આપું છું. પછી કહું કે, ‘આમાંથી તને યોગ્ય લાગે તે કર. તારી મરજી.’ પણ થાય એવું કે, સમયના અભાવે દરેક ઘણા દુ:ખીઓ તો આવતાં પણ અચકાય કે, એક સ્ત્રી પાસે સલાહ લેવાની ? એટલે જો આ પુસ્તક તેમની પાસે હોય તો અધરાત-મધરાત ગમે ત્યારે મારી સલાહનો લાભ લઈ શકે. (જોકે મારા હિતેચ્છુઓ ગણગણે છે કે, એ વળી ક્યારથી ડાહી થઈ ગઈ ? એનામાં ઠેકાણાં નથી ને…. એના કરતાં અમે કહીએ તેમ કરો !)
મારા જીવનના ઘડતરમાં મારાં કુટુંબીજનો, શિક્ષકો, નર્સો, ડૉક્ટરો, પાડોશીઓ, મિત્રો ને શત્રુઓનો પણ ફાળો રહ્યો છે. હું તો ત્યાં સુધી કહીશ કે પાળેલાં કે ન પાળેલાં પશુ-પક્ષીઓનો પણ મારા માથે ભાર છે. પણ દરેકનો ઉલ્લેખ કે પ્રસંગ યાદ હોવા છતાં પુસ્તકમાં સમાવી શકાય એમ ન હોવાથી પહેલેથી જ સૌની ક્ષમા ચાહું છું. કારણ કે પછી તો આ પુસ્તક, પુસ્તક ન રહેતાં એક મહાન ગ્રંથ બનવા તરફ ગતિ કરવા માંડશે. ને હું નથી ઈચ્છતી કે, એ મહાન ગ્રંથને લોકો પછી માથું ઠોકવાના કામમાં લે ને કોઈ વાર વળી કોઈ રડ્યાખડ્યાને માથે ચડાવવાનું મન થાય. ત્યારે લોકો એની મશ્કરી કરે ! એટલે બને તેટલું ટૂંકમાં લખીને નાનકડું, રૂપકડું પુસ્તક બને એની કાળજી રાખીશ. એમાં ફક્ત ને ફક્ત મારાં સંદેશો, સૂચનો, સલાહો ને ઉપદેશો સિવાય બીજું કંઈ જ નહીં હોય એની પૂરતી કાળજી રાખીશ. જનહિતાર્થે આ પુસ્તકના થોડા અંશો રજૂ કરું છું જેને જોતાં જ સુજ્ઞજનો તો તરત જ આ પુસ્તકના મહત્વને સમજી શકશે. એમાં દર્શાવેલા નિયમોનું પાલન કરતાં સૌને સુખ અને શાંતિ મળશે – કદાચ ડગલે ને પગલે આવતી મુશ્કેલીઓમાંથી આસાનીથી માર્ગ કાઢી શકશે – કદાચ. કારણ કે ‘કદાચ’ શબ્દ મારો મુખ્ય આધાર છે.
[1] જે પોતાનો માર્ગ પોતે શોધે છે તે જ સફળતાના શિખરે પહોંચે છે. જેમ કે, હું (!). જે બીજા પર આધાર રાખે છે તે ભટકતો રહે છે. જેમ કે આ પુસ્તક વાંચનાર ! છતાં આ પુસ્તક તો વાંચવું જ.
[2] પૈસેટકે પાયમાલ ન થવાય તેથી તંદુરસ્તીના બધા જ નિયમો પાળવા. ને ન પળાય તો ગભરાઈને ડૉક્ટરને શરણે જવું. જીવવાની ઈચ્છા મરવા ન દેવી.
[3] બધાં જ આવું ઘડપણ ઈચ્છે છે કે, મરતાં સુધી હાલતાં-ચાલતાં રહીએ તો સારું. કોઈની આશા રાખવી નહીં. હું તો એટલે સુધી કહું છું કે, ભવિષ્યમાં નનામી ઊંચકનાર પણ નહીં મળે. સ્મશાને ચાલતાં ચાલતાં પહોંચી જવાય એવા અડીખમ રહો, ને પછી ત્યાં જઈને….
[4] આ જીવન શા માટે છે ? કોના માટે છે ? કેવું જીવવું જોઈએ ? શું કરવું જોઈએ ? વગેરે જીવનને લગતા પ્રશ્નોનો સતત વિચાર કરતા રહો ને એમાં જ જીવન વહી જવા દો. કંઈ ફરક નહીં પડે.
[5] પહેલાંના લોકો એવું માનતા કે, બીજાના જીવનના કાંટા વીણી લઈ એમના માર્ગમાં પુષ્પો પાથરવાથી આનંદ અને સંતોષ મળે છે. પણ આજના જમાનામાં પોતાની ઉપાધિઓ ઓછી છે તે બીજામાં ડખા કરવા જવાના ? એનાં કરતાં એમને આ પુસ્તક ભેટ ધરી દેવું. એટલે બધાને પોતાના પ્રશ્નો જાતે જ ઉકેલતાં આવડી જશે.
[6] ફળની આશા રાખ્યા વગર જ કામ કરતા રહો. મારા પુસ્તકમાંથી પ્રેરણા લો. મેં ક્યારેય વિચારેલું કે, મારી સલાહોનું પુસ્તક બહાર પડશે ?
[7] હજાર દુ:ખોને રસ્તે ગયા પછી જ એક સુખનો રસ્તો મળે છે. માટે જ સુખના શોર્ટ કટને માટે હાજર છે આ પુસ્તક !
આવી તો કેટલીય રત્નકણિકાઓ કે ચિંતનકણિકાઓ (કણિકા એટલે શું ? એ ન પૂછશો.) આ પુસ્તકમાં સમાવી છે. એમ તો કહેવા જેવું ને લખવા જેવું તો અઢળક છે. જેમને ખરેખર રસ પડે તેમણે વધુ સલાહો મેળવવા પત્રવ્યવહાર કરવો. પરોપકાર મારા જીવનનો ધ્યેય હોવાથી વિનામૂલ્યે સલાહો રવાના કરાશે. પણ જોજો, ભૂલમાંય મારે રસ્તે ચાલીને તમે સલાહ આપવાના રસ્તે વળી ના જશો. નહીં તો મને કે મારા પુસ્તકને કોણ પૂછશે ?
aavaj moto kari ne sambharvu
Thursday, January 15, 2009
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment